તૈયાર રહો! ગેસના બાટલાની અછત થઈ શકે

ભારત સરકારે ગેસમાં ઈમરજન્સી લાગૂ કરી; કંપનીઓને વધારે બોટલ બનાવવા સૂચના; CNG-PNGના ભાવ પણ વધી શકે

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ જો વધશે તો ભારતમાં રસોઈ ગેસના બાટલાની અછત પણ વધશે. આ સ્થિતિને જોતા સરકારે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેઇનમાં અવરોધને કારણે ગેસનો પુરવઠો પ્રભાવિત થવાની પૂરેપૂરી સંભાવના છે. આ જોખમને જોતા સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કર્યો.

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે રિફાઇનરી કંપનીઓ તેમની પાસે રહેલા પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ ફક્ત રસોઈ ગેસ બનાવવા માટે કરશે. એટલે કે આ ગેસનો ઉપયોગ અન્ય કોઈ કામમાં કરવામાં આવશે નહીં.

સરકારી કંપનીઓને મળશે પ્રાથમિકતા

આદેશ મુજબ, તમામ કંપનીઓએ પ્રોપેન અને બ્યુટેનનો પુરવઠો સરકારી ઓઈલ કંપનીઓ- ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL) ને કરવો પડશે.

તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશના લગભગ 33.2 કરોડ સક્રિય LPG ગ્રાહકો એટલે કે ઉપભોક્તાઓને કોઈપણ અવરોધ વિના ગેસ સિલિન્ડર મળતા રહે.

LPG, પ્રોપેન અને બ્યુટેન શું હોય છે?

LPG: આ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ છે, જે પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ હોય છે.

પ્રોપેન/બ્યુટેન: આ હાઇડ્રોકાર્બન વાયુઓ છે, જે ક્રૂડ ઓઇલના રિફાઇનિંગ દરમિયાન નીકળે છે. તેનો ઉપયોગ પ્લાસ્ટિક બનાવવા (પેટ્રોકેમિકલ્સ) અને ઇંધણ બંનેમાં થાય છે.

રિલાયન્સની નિકાસ અને પેટ્રોકેમિકલ ઉત્પાદન પર અસર પડશે

સરકારના આ નિર્ણયની સીધી અસર પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ, ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) પર પડી શકે છે. પ્રોપેન અને બ્યુટેનના ડાયવર્ઝનથી આલ્કાઇલેટ્સના ઉત્પાદનમાં ઘટાડો થશે, જેનો ઉપયોગ પેટ્રોલની ગ્રેડિંગ સુધારવા માટે થાય છે.

ગયા વર્ષે રિલાયન્સે દર મહિને સરેરાશ ચાર આલ્કાઇલેટ્સ કાર્ગોની નિકાસ કરી હતી. આ ઉપરાંત, સરકારે રિફાઇનર્સને એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હાલ પૂરતું પેટ્રોકેમિકલ ઉત્પાદન માટે પ્રોપેન ગેસનો ઉપયોગ ન કરે.