મધ્ય-પૂર્વમાં ફ્લાઇટ રદ થતાં પરિવારજનોમાં ચિંતા; પાછા લાવવા વ્યવસ્થા કરવા માગ

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે મધ્ય-પૂર્વના દેશોમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર થઈ છે. સુરક્ષાના કારણોસર ઉડાન પ્રતિબંધો લાગુ કરાતા સાઉદી સહિતની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો મોટા પાયે રદ કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં રમઝાન માસ દરમિયાન મક્કા-મદીના ઉમરાહ માટે ગયેલા સુરત જિલ્લાના 300 થી વધુ શ્રદ્ધાળુઓ ત્યાં ફસાઈ ગયા છે, જેના કારણે તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના મોસાલી, કઠોર, ખોલવડ, કોસંબા, ઓલપાડ, માંગરોળ અને તડકેશ્વર જેવા વિસ્તારોના યાત્રાળુઓ રમઝાન પૂર્વે મક્કા-મદીના પહોંચ્યા હતા . ઉમરાહના 10 દિવસ પૂરા થયા બાદ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા ફ્લાઇટ સેવાઓ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવી, જેના કારણે આ શ્રદ્ધાળુઓ મક્કામાં ફસાઈ ગયા છે. ઈરાન-ઇઝરાયલ સંઘર્ષની સાથે દુબઈમાં પણ ફ્લાઇટો રદ થતાં ભારતમાં હાજીઓના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.હાલમાં ઇન્ડિગો, સ્પાઇસજેટ અને આકાશા જેવી એરલાઇન્સની ફ્લાઇટ સેવાઓ અનિશ્ચિત હોવાથી, સરકાર દ્વારા મક્કા-મદીના ગયેલા હાજીઓને વહેલી તકે સુરક્ષિત રીતે વતન પાછા લાવવા માટે ખાસ વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

